છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ભાવમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે રૂ.25 હજારની સપાટીએ વેપાર થતો હતો. જે અત્યારે જીરાનો વાયદો ઘટીને રૂ.21500ની સપાટીએ આવી ગયો છે. એક મહિના પહેલા હાજર બજારમાં રૂ.5 હજારની સપાટીની આસપાસ વેપાર થતો હતો. જ્યારે હાલ 4100 થી રૂ.4400ની આસપાસ જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.
સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, જીરાની આવકો ઘટી હોવા છતાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાં દૈનિક 15 હજાર બોરી આસપાસ જીરાની આવક થઇ રહી છે. જેમાં ઉંઝામાં દૈનિક સરેરાશ 8 હજાર બોરી આસપાસ આવક થઇ રહી છે. જીરાની આવક અને વેચવાલીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ભાવમાં સુધારો થયો નથી.